Amuk Sambandho Hoy chhe - 1 in Gujarati Short Stories by Dharmishtha parekh books and stories PDF | અમુક સંબંધો ? હોય છે (ભાગ 1)

Featured Books
Categories
Share

અમુક સંબંધો ? હોય છે (ભાગ 1)

અમુક સંબંધો ? હોય છે.....

ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ હતો પણ વાસનાની એક બુંદ પણ ન હતી. શું કળિયુગમાં આવો નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ સંભવી શકે ખરો? હા ચોક્કસ સંભવી શકે. પરંતુ ઘણી વખત માણસની આખો પર સ્વાર્થનું આવરણ એવું તે છવાઈ જાય છે કે તે આવા નિસ્વાર્થ પ્રેમના અમૃતનું રસપાન કરવાનું ચુકી જાય છે. દેવાંગે પણ કઈક આવું જ કર્યું. આનંદી દેવાંગનો પ્રથમ પ્રેમ હતી જયારે કાવ્યા તેમની પત્ની હતી. પરંતુ આ બંને માંથી એક પણ દેવાંગને નથી સમજી શકતી કે નથી તેમની ખામીને સ્વીકારી શકતી. સંજોગોવશ દેવાંગના જીવનમાં જાનવી બેસ્ટ ફ્રેન્ડ બનીને આવે છે. જાનવી દેવાંગને ખુબ સારી રીતે સમજી શકે છે અને તેમની ખામીને પણ ખુબીમાં પલટાવાની કોશિસ કરે છે. પરંતુ સમય પસાર થતા દેવાંગ પોતાના અંગત સ્વાર્થ ખાતર જીવનભર જાનવીનો સાથ આપવાને બદલે તેને અપમાનીત કરીને તરછોડી દે છે. દસ વર્ષ બાદ દેવાંગને પોતાની ભૂલ સમજાય છે. તે હવે જાનવીને પોતાના જીવનમાં રાધા અને મીરાનું સ્થાન આપવા ઇચ્છતો હતો. પરંતુ હવે ખુબ જ મોડું થઇ ચુક્યું હતું. આખરે જાનવીમાં એવું તે શું હતું કે તે દેવાંગનો પ્રેમ ન હતી આમ છતાં દેવાંગ તેને પોતાના જીવનમાં એક ખાસ સ્થાન આપવા ઇચ્છેતો હતો.

એક નાનકડા ગામમાંથી જાનવી ભણવા માટે શહેરમાં આવે છે. જાનવી દેખાવે થોડી પાતળી, થોડી શ્યામ પણ ખુબ જ નમણી હતી. તેમનું વ્યક્તિત્વ અંતર્મુખી હતું. માટે તે ઓછુ બોલનાર અને શરમાળ હતી.લાંબા વાળ અને મધુર સ્વરને લીધે તેમનું વ્યક્તિત્વ ઓર દીપી ઉઠતું. તે અભિમાની ન હતી પણ ખુબ જ સ્વાભિમાની હતી. તેને જીવનમાં પૈસો જોઈતો ન હતો પણ સાચો પ્રેમ જોઈતો હતો.. તેમના જીવનમાં સ્વાર્થનું મહત્વ સાવ ગૌણ હતું, જયારે સ્નેહનું મહત્વ મોખરે હતું.તે સર્વને નિસ્વાર્થ પ્રેમ આપતી રહેતી અને બદલામાં સર્વેનો નિસ્વાર્થ પ્રેમ પામવા ઝંખતી હતી. તેનું ફક્ત એક જ ધ્યેય હતું, જીવનમાં કઈક ખાસ અને અલગ કરવું. તે જયારે પણ ભીડમાં જતી ત્યારે તેમના મનમાં એક જ વિચાર આવતો કે હું એવું તે શું કરું કે આ ભીડમાં મારું એક અલગ સ્થાન બનાવી શકું? તેને જીવનમાં આગળ વધી સફળતા તો જોઈતી હતી પણ સત્યના માર્ગે ચાલીને. તેમના જીવનમાં પ્રેમનું એક ખાસ સ્થાન હતું પરંતુ આકર્ષણનું કોઈ જ સ્થાન ન હતું. માટે જ તે હમેશા છોકરાઓથી દુર રહેતી. બાળપણમાં તેમની માં હમેશા કહ્યા કરતી_ “બેટા.....દારૂ અને દેતવા ભેગા થાય એટલે સળગ્યા વિના રહી જ ના શકે” આ વાત જાનવીના મનમાં ઘર કરી ગઈ હતી.

સમયનું ચક્ર ફરતા જાનવીના જીવનમાં દેવાંગનો પ્રવેશ થતા તેમના જીવનમાં પલટાવ આવે છે. જાનવી અને દેવાંગની પ્રથમ મુલાકાત સોસ્યલ ગ્રુપમાં થઇ હતી. જાનવી માનવ સેવાના ઉદેશ્યથી આ ગ્રુપમાં જોડાયેલ હતી જયારે દેવાંગ માત્ર પોતાના બિઝનેસના અંગત સ્વાર્થ ખાતર આ ગ્રુપ સાથે સંકળાયેલ હતો. ત્રણ મહિના સુધી બંનેને એકબીજાનું નામ પણ ખબર ન હતું. દેવાંગ અંદરથી સ્વાર્થી હતો પણ તેમનો ચહેરો ખુબ માસુમ દેખાતો. માટે જ જાનવીને દેવાંગમાં ક્યાંકને ક્યાંક માસુમિયત અને સચ્ચાઈ દેખાતી હોવાથી તેમના હદયમાં દેવાંગ પ્રત્યે એક પ્રકારની હમદર્દી જન્મે છે. જાનવીની સાદગી અને નિસ્વાર્થ સેવા કરવાની ભાવના દેવાંગનું મન મોહી લે છે. એક દિવસ અચાનક દેવાંગ સામેથી જાનવી પાસે એમનો મોબાઈલ નંબર માંગે છે. જાનવી દેવાંગને કઈ પણ પૂછ્યા વિના જ પોતાનો પર્સનલ નંબર આપી દે છે. બીજા દિવસે બંને મેસેજમાં વાતો કરી એકબીજાને પોતાનો પરિચય આપે છે. દેવાંગ પોતાનો પરિચય આપતા જણાવે છે કે,..... “મારા લગ્ન થઇ ચુક્યા છે અને હું સાચા દિલથી માત્ર મારી પત્નીને જ ચાહું છું. માટે આપણી વચ્ચે પ્રેમ પાંગરવો શક્ય નથી. મારા દિલમાં તારા પ્રત્યે એવી કોઈ જ લાગણી નથી. હું તો બસ તને મારી બેસ્ટ ફ્રેન્ડ બનાવવા માગું છું”. દેવાંગની આ વાત જાનવીના દિલને સ્પર્શી જાય છે. માટે તે કહે છે ,... “હું આજીવન તારી બેસ્ટ ફ્રેન્ડ રહીશ અને હમેશા તારો સાથ આપીશ”.

દેવાંગ અને જાનવીની મિત્રતાની જાણ દેવાંગની પત્ની કાવ્યાને પણ હતી. પરંતુ તેમને પોતાના પતિ પર પૂર્ણ વિશ્વાસ હતો માટે તેને દેવાંગ અને જાનવીની મિત્રતાથી કોઈ જ વાંધો ન હતો. બંનેની મિત્રતા ગાઢ બનતા તેઓ એકબીજા સાથે પોતાના વિચારોની આપલે કરતા થઇ જાય છે. બંનેના અમુક વિચારોમાં જમીન આસમાનનો તફાવત હતો તો અમુક વિચારોમાં ખુબ જ સામ્ય જોવા મળતું હતું. જાનવીને દેવાંગ પ્રત્યે લાગણી હતી પણ એ લાગણીમાં વાસનાનું કોઈ જ સ્થાન ન હતું. આકર્ષણ હતું પણ માત્ર મનથી તનથી નહિ. માટે જાનવી કદી પોતાની મર્યાદા ઓળંગતી નથી. સમય જતા દેવાંગને એવો અહેસાસ થવા લાગે છે કે જાનવી તેને ચાહવા લાગી છે. પરંતુ વાસ્તવિકતા કઈક જુદી જ હતી. એક ક્ષણ એવી આવે છે કે દેવાંગ પોતાની જાતથી જ ડરવા લાગે છે કે ક્યાંક પોતે પણ જાનવીને પ્રેમ ન કરવા લાગે. કારણ કે દેવાંગને જાનવીથી વધુ સારી રીતે સમજનાર બીજું કોઈ જ ન હતું. દેવાંગની પસંદ ના પસંદ, એમના શોખ, એમના જીવનનું ધ્યેય, એમની ખૂબી અને એમની ખામીની જાણ જાનવીને રહેતી. સમાજની દ્રસ્તીએ જાનવી અને દેવાંગના સંબંધનું કોઈ જ નામ ન હતું એમનો સંબંધ માત્ર એક ? હતો. જાનવીના દિલમાં દેવાંગ પ્રત્યે પ્રેમ તો હતો જ પણ એ પત્ની કે પ્રેમિકાનો ન હતો. એ પ્રેમ તો નિસ્વાર્થ હતો.

નવરાત્રીના દિવસો નજીક આવે છે. જાનવી માટે નવરાત્રીનો તહેવાર ખુબ મહત્વનો બની રહેતો. નવરાત્રીના દિવસો દરમ્યાન તે માતાજીની વધુ નજીક રહેતી. તેને ગરબા રમવાનો શોખ ન હતો. આથી તે ઘરમાં જ માતાજીનું મંદિર શણગારતી અને માતાજી સમક્ષ ગરબા ગાતી. નવરાત્રીના પ્રથમ દિવસે તે દેવાંગને ફોન કરી નવરાત્રીની શુભેચ્છા પાઠવે છે અને પૂછે છે,- “તને ગરબા રમવાનો શોખ છે? તુ ગરબા રમવા જાય છે ? દેવાંગ ઉતર આપતા જણાવે છે,- “મારા માટે તહેવારોનું કોઈ ખાસ મહત્વ હોતું નથી. મોટા ભાગના તહેવારો તો દુકાનમાં જ ઉજવાય છે. નવરાત્રીમાં પણ રાતે મોડે સુધી કામ કરું છું કારણ કે ઘરમાં હું એકલો જ હોય છુ. કાવ્યાને રમવાનો ખુબ જ શોખ છે. માટે તે ગરબા રમવા જાય છે”. દેવાંગના મોઢેથી ‘એકલો જ’ શબ્દ સાંભળતા જાનવીને તેમના પ્રત્યે વધારે સહાનુભુતિ જન્મે છે.

એક દિવસ પણ એવો ન જતો કે બંનેએ એકબીજા સાથે વાત ન કરી હોય. પરંતુ કહેવાય છે ને કે સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે.. અેક દિવસ રાત્રે ગુડ નાઈટનો મેસેજ કર્યા બાદ જાનવી ઊંઘી જાય છે. સવાર પડતા ફરી ગુડ મોર્નિંગનો મેસેજ કરે છે પણ સામે દેવાંગનો કોઈ જ મેસેજ ન આવ્યો. જાનવી દેવાંગને અસંખ્ય મેસેજ કરે છે પણ સામે એક પણ રીપલે ન આવતા બપોર થતા જ તે દેવાંગને ફોન કરે છે પરંતુ સતત બે કલાક સુધી દેવાંગનો ફોન વ્યસ્ત આવતો હતો અને જયારે ફોન લાગ્યો ત્યારે દેવાંગ જાનવી પર ખુબ જ ગુસ્સે થાય છે અને કહે છે,- “શું છે આ બધું? શા માટે મને વારંવાર ફોન કરે છે? મારો ફોન વ્યસ્ત હતો તો પણ શા માટે મને ડીસ્ટર્બ કરતી હતી? તારા લીધે આજે આનંદી મારાથી ફરી રિસાઈ ગઈ. આનંદી મારા જીવનનું સર્વસ્વ છે. કાવ્યા ભલે મારી પત્ની હોય. પરંતુ આનંદી મારો પ્રથમ પ્રેમ છે. કાવ્યાનું સ્થાન મારા જીવનમાં રૂક્ષ્મણીનું છે. પણ રાધાનું સ્થાન તો હમેશા આનંદીનું જ રહેશે. માટે હું જયારે આનંદી સાથે વાત કરી રહ્યો હોય ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિ અમને ડીસ્ટર્બ કરે એ મને બિલકુલ પસંદ નથી” દેવાંગની આ વાત સાંભળતા જ જાનવીને ખુબ મોટો આઘાત લાગે છે. તેમના હાથ માંથી ફોન સરકી જાય છે અને પોતે જમીન પર ઢળી પડે છે. થોડીવાર બાદ તે પોતાની જાતને સંભાળે છે અને પોતાના રોજીંદા કાર્યમાં વ્યસ્ત રહેવાની કોશિસ કરે છે પરંતુ દેવાંગ દ્વારા બોલાયેલ એક એક વાક્ય જાનવીની માનસિક શાંતિ હણી લે છે. આખરે તે હંમેશને માટે દેવાંગથી દુર રહેવાનો નિર્ણય લે છે.

બે દિવસ બાદ દેવાંગ સામેથી જાનવીને ફોન કરે છે અને માત્ર એકવાર મળવાનું કહે છે પરંતુ જાનવી સ્પષ્ટ શબ્દમાં મળવાની ના પાડી દે છે. દેવાંગ કઈ બોલે એ પહેલા જ જાનવી તેને પોતાના મનની વાત જણાવતા કહે છે,-“હું તો તારા જીવનમાં રાધા બનીને હમેશા તારો સાથ આપવા ઈચ્છતી હતી, પણ તારા જીવનમાં તો રાધાનું સ્થાન આનંદી લઇ લઇ ચુકી છે તો હવે હું તારાથી.....” જાનવીની વાત કાપતા દેવાંગ પોતાના મનની વાત જણાવતા કહે છે,- “ તું મારા જીવનમાં મીરાનું સ્થાન તો લઇ શકે ને?” દેવાંગનું આ વાક્ય સાંભળતા જાનવીના મનમાં અસંખ્ય પ્રશ્નોનું તુફાન ઉઠે છે. તે પોતાના મનમાં ઉઠેલ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા એકવાર દેવાંગને મળવાની હા પાડે છે. આખી રાત જાનવીને ઊંઘ નથી આવતી. બીજા દિવસે બંને રાધાકૃષ્ણના મંદિરની સામે આવેલ બગીચામાં જાડની છાયામાં બેસે છે. થોડીવાર મૌન રહ્યા બાદ દેવાંગ ખુબ જ માસુમ સ્વરમાં જાનવીને પૂછે છે,- “તને શું લાગે છે હું કોને સાચો પ્રેમ કરું છું, આનંદીને કે કાવ્યાને? મારા જીવનમાં બંનેનું એક ખાસ સ્થાન છે. હું નથી કાવ્યાને છોડી શકું તેમ કે નથી આનંદીને અપનાવી શકું તેમ. આનંદી મારો પ્રથમ પ્રેમ છે તો કાવ્યાનો પ્રથમ પ્રેમ હું છું. આનંદી સાથે વાત ન કરું તો હું પોતાની જાતને જ દુખી કરી રહ્યો છું અને જો વાત કરું છું તો કાવ્યાનો વિશ્વાસ તોડી રહ્યો હોય એવું અનુભવું છું. મને કઈ જ નથી સમજાતું કે અમારા ત્રણે માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે” દેવાંગનો માસુમ સ્વર જાનવીના મૌનને વધુ ગંભીર બનાવે છે. દેવાંગ પોતાનો ભૂતકાળ વાગોળતા જાનવીને આનંદીનો પરિચય આપે છે.

આજથી પાંચ વર્ષ પહેલા મારી મુલાકાત આનંદી સાથે થઇ હતી. અમે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. સમય જતા ખબર જ ના પડી કે હું તેને ક્યારે ચાહવા લાગ્યો. પરંતુ અમારી વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. તે દરેક ક્ષેત્રમાં મારા કરતા ઘણી આગળ હતી અને ઉમરમાં પણ મોટી હતી. માટે અમારા લગ્ન શક્ય ન હતા. એ દરમ્યાન મારા જીવનમાં કાવ્યા આવી. એક દિવસ કાવ્યાએ મને પ્રપોઝ કર્યું અને મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ઘરમાં આમ પણ મારા લગ્નની વાતો ચાલી રહી હતી માટે પરિવારની સહમતીથી અમે બંને લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા. મારા લગ્ન બાદ પણ હું કાયમ આનંદી સાથે ફોન પર વાતો કરતો અને સમય મળતા તેને રૂબરૂ મળવા પણ જતો. એક દિવસ આનંદીએ મને પૂછ્યું,- “તારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે? મેં થોડું હસતા જવાબ આપ્યો,- કાવ્યા તરફથી લવ મેરેજ છે પણ મારા તરફથી..... મારી આખી વાત સાંભળ્યા પહેલા જ આનંદીએ મને બીજો સવાલ પૂછ્યો,- “તો શું તું કોઈ બીજી છોકરીને ચાહતો હતો?” આનંદીનું આ વાક્ય સાંભળતા જ મેં કઈ પણ વિચાર્યા વિના કહી નાખ્યું, “હું તો તને જ ચાહતો હતો”. મારી આટલી વાત સાંભળતા આનંદી પણ બોલી ઉઠી,- “પ્રેમ તો હું પણ તને ખુબ કરતી હતી અને કરું છું”. ઘણા સમયથી આનંદીના મોઢે આ વાક્ય સાંભળવા હું તડપતો હતો પરંતુ જયારે સાંભળવા મળ્યું ત્યારે ખુબ જ મોડું થઇ ગયું હતું. અમને બંનેને અમારા મૌન રહેવા પર ખુબ પસ્તાવો થયો. પ્રેમ હોવા છતાં અમે બંને એક ન થઇ શક્યા. માટે જ અમે બંનેએ અમારા સંબંધને રાધાકૃષ્ણના સંબંધનું નામ આપ્યું.

જાનવી રાધાકૃષ્ણની પ્રતિમા સામે જોઈ ખુબ જ ધ્યાનથી દેવાંગનો ભૂતકાળ સાંભળી રહી હતી. પોતાનો ભૂતકાળ જણાવ્યા બાદ દેવાંગ ફરી વર્તમાનમાં આવે છે. થોડીવાર મૌન રહ્યા બાદ જાનવીનો હાથ પોતાના હાથમાં લે છે અને ફરી વાતને આગળ વધારે છે. “જાનવી હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળજે. કદાચ તને મારી વાત પર વિશ્વાસ નહિ આવે પણ એ જ વાસ્તવિકતા છે. જાનવી મેં ભલે પ્રેમ તો આનંદી અને કાવ્યાને જ કર્યો છે. પરંતુ મને સાચો પ્રેમ તો માત્ર તારી પાસેથી જ મળ્યો છે. તારા આવ્યા બાદ મારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હું સાવ બદલાય ગયો છું. તારી પાસે ખોટું નથી બોલી શકતો કે નથી તારાથી કઈ છુપાવી શકતો. હવે હું કઈ ખોટું કરતા પણ અચકાવ છું. તારી લાગણી અને સ્નેંહ મળતા હું પોતાના વિશે વિચારતો થયો છું. આજે હું પોતાની જાતને સમજી શકું છું તો માત્ર તારા લીધે. તે મને જે આપ્યું છે એ અત્યાર સુધી કોઈ જ મને નથી આપી શક્યું. મારા જીવનની ઘણી એવી વાતો છે જે હું કોઈ બીજાને નથી કહી શકતો પણ તારી પાસે એ દરેક વાતો કરવા માગું છું કારણ કે તું મને જેટલો સમજી શકે છે એટલો કોઈ જ મને સમજી નથી શક્યું. આનંદી પણ નહિ અને કાવ્યા પણ નહિ. તે જ મને જીવનના દરેક રંગોની ઓળખ કરાવી છે. તે જ મને કુદરતી સૌંદર્યને માણતા શીખવ્યું છે.તારા આવ્યા બાદ આજે હું ત્રણે ઋતુને મન ભરીને માણી શકું છું. ચોમાસાના નૈસર્ગિક સૌંદર્યએ મારા જીવનના કોરા પાનામાં એક અલગ જ રંગો પૂર્યા છે. ઉનાળાનો બળબળતો તડકો અને શિયાળાની કડકડતી ઠંડી આજે મારામાં એક અલગ જ ઉત્સાહ જગાડે છે. તે જ મને મારી ખૂબી અને ખામીથી પરિચિત કરાવ્યો છે. મારા લગ્ન કાવ્યા સાથે ન થયા હોત તો હું જરૂર તને મારા જીવનમાં એક ખાસ સ્થાન આપત અને મારા જીવનની નૈયાને તારા સથવારે આગળ વહાવત..મારું દિલ કહે છે કે તારા જીવનમાં જે વ્યક્તિ આવશે તે ખુબ જ નશીબદાર હશે. જેને તારો પ્રેમ અને સાથ મળશે તેને તો જીવનનું સર્વસ્વ મળી જશે. તું મારા જીવનમાં પરી બનીને આવી છો જે એકના એક દિવસ ઉડી જવાની છો. જાનવી મારે તારી પાસેથી બીજું કઈ જ નથી જોઈતું. હું તો બસ આજીવન એક સારા મિત્ર તરીકે તારો સાથ ઝંખું છું. આપીશને મારો સાથ? રહીશને હમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ?

દેવાંગના દિલની આટલી વ્યથા સાંભળ્યા બાદ જાનવી ફક્ત એક વાક્ય જ ઉચ્ચારી શકે છે,- “હવે આપણે જઈશું.....” દેવાંગ એકવાર જાનવીને ગળે વળગી માફી માગવા ઈચ્છતો હતો અને બે ઘડી રડી દિલનો બોજ હળવો કરવા ઝંખતો હતો. દેવાંગ કઈ કહે એ પહેલા જ જાનવી કહે છે કે હું બે દિવસ બાદ તને મારો છેલ્લો નિર્ણય જણાવીશ. આ બે દિવસની અડતાલીસ કલાક દરમ્યાન જાનવી ખુબ વિચારે છે અને નિર્ણય લે છે. તે દેવાંગને ફોન કરે છે અને પોતાનો છેલ્લો નિર્ણય જણાવતા નંબર ડીલેટ કરવાનું કહે છે. તે ફોન કટ કરવા જાય છે ત્યાં જ દેવાંગ માસુમ સ્વરમાં ગીતની બે કળી સંભળાવે છે-

એક દિન આપ યુ હમકો મિલ જાએંગે,

ફૂલ હી ફૂલ રાહો મેં ખીલ જાએંગે,

હમને સોચા ન થા.....

એક દિન ઝીંદગી ઇતની હોગી હસી,

ગાયેગી એ ઝમી ઝુમેગા આસમાન,

હમને સોચા ન થા.......

દેવાંગનો માસુમ સ્વર સાંભળી જાનવી પોતાનો નિર્ણય બદલવા મજબુર બની જાય છે. તે દેવાંગને સુખમાં નહિ પરંતુ દુઃખમાં હમેશા સાથ આપવાનું વચન આપે છે.

ક્રમશ: .....